શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા સંસારના મોહમાયા થી મુક્ત મનોદીવ્યાંગ ભક્તો

“નિરાધારનો આધાર એટલે સોમનાથ”

હિન્દ ન્યુઝ, સોમનાથ 

     શ્રાવણ માસ પોતાના મધ્યમાં પહોચ્યો છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને દેશવિદેશના ભક્તોનો ભક્તિ સાગર છલકાયો છે. ભાવિકો વિવિધ પ્રકારની ઉપાસના કરી સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની અધ્યક્ષતામાં કાર્યરત શ્રી સોમનાથ ટ્રસ્ટે ફરી વખત અદભુત સંવેદના પ્રગટ કરીને મનો દિવ્યાંગો માટે સોમનાથ યાત્રાનું આયોજન કર્યું હતું.

ગીર સોમનાથ જિલ્લામાં ડારી ટોલ પ્લાઝા નજીક કાર્યરત “નિરાધાર નો આધાર આશ્રમ” જે 100 જેટલા મનોદિવ્યાંગ ને પ્રભુજી નું સ્વરૂપ માની સેવા કરે છે. આશ્રમ ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પોતાની બસો મોકલીને મનો દિવ્યાંગોને શ્રી સોમનાથ મંદિર સુધી લાવવામાં આવ્યા હતા. વિશેષ પ્રવેશ વ્યવસ્થા કરીને જે દિવ્યાંગ ચાલી ના શકે તેઓને ગોલ્ફ કાર્ટ દ્વારા મંદિરમાં લાવવામાં આવ્યા હતા. દિવ્યાંગો ને વિશેષ સંભાળ લઈ શાંતિપૂર્વક સોમનાથ મહાદેવના દર્શન કરાવવામાં આવ્યા હતા. દર્શન બાદ મંદિર પરિસરમાં સંકીર્તન ભવન ખાતે દિવ્યાંગ પ્રભુજીઓના સમૂહ માટે ધ્વજા પૂજાની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિશુદ્ધ આનંદ અને અપાર શ્રદ્ધા સાથે મનો દિવ્યાંગ પ્રભુજીઓ દ્વારા મહાદેવની ધ્વજા પૂજા કરવામાં આવી હતી. પૂજા બાદ ઢોલ શરણાઈ ના સૂર સાથે મનો દિવ્યાંગો મહાદેવની ભક્તિમાં જુમી ઉઠ્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ પ્રભુજીઓનું ખેસ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ મહાદેવનો ચિકિ પ્રસાદ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તમામ પ્રભૂજીઓને બસ દ્વારા શ્રી ગોલોકધામ તીર્થ ખાતે દર્શન કરાવવામા આવ્યા હતા. ગોલોકધામ પ્રવાસ પૂર્ણ થયે શ્રી સોમનાથ ટ્રસ્ટના અન્નક્ષેત્રમાં વિશેષ વ્યવસ્થા સાથે મનો દિવ્યાંગ પ્રભુજીઓને મહાપ્રસાદ સ્વરૂપે ભોજન કરાવવામાં આવ્યું હતું.

નિરાધાર નો આધાર આશ્રમ અને શ્રી સોમનાથ ટ્રસ્ટનું તાદાત્મ્ય:

આશ્રમની સ્થાપના બાદ તેના નિભાવમાં શ્રી સોમનાથ ટ્રસ્ટની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. આશ્રમની સ્થાપના બાદ 1 વર્ષ સુધી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આશ્રમને તમામ પ્રકારનું રાશન પૂરું પાડવામાં આવ્યું હતું. 1વર્ષ સુધી શ્રી સોમનાથ ટ્રસ્ટની ગૌશાળા માંથી દૂધ પણ આશ્રમને મોકલવામાં આવ્યું હતું. આજે પણ જ્યારે જ્યારે આશ્રમને આવશ્યકતા ઊભી થાય છે ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ તેમની સહાયતા કરવામાં આગ્રેસર હોય છે. 

ઉલ્લેનીય છે કે શ્રી સોમનાથ ટ્રસ્ટ માન.પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં અનેકવિધ દિવ્યાંગ લક્ષી પ્રકલ્પો ચલાવી રહ્યું છે. જેમાં સોમનાથ મહાદેવને અર્પણ કરેલ વસ્ત્રો રાજ્યસરકાર ના સહયોગથી રાજ્યભરમાં દિવ્યાંગ ગૃહોમાં પહોંચાડવામાં આવ્યા છે. મહાદેવને જ્યારે પણ કેરી સહિતના ફળો નો મનોરથ કરવામાં આવે છે તે ફળોને મહાદેવના પ્રસાદ સ્વરૂપે વિવિધ દિવ્યાંગ ગૃહોમાં વિતરણ કરવામાં આવે છે. તાજેતરમાં જ વડોદરા થી પધારેલ પ્રજ્ઞાચક્ષુ સમૂહને પણ ટ્રસ્ટ દ્વારા રેહવા જમવાની વ્યવસ્થા સાથે સોમનાથની યાત્રા કરાવવામાં આવી હતી. આ રીતે શ્રી સોમનાથ ટ્રસ્ટ દિવ્યાંગ પ્રાધાન્યતાના સંવેદનશીલ મૂલ્યો સાથે તીર્થમાં દિવ્યાંગ ભાવિકોને સર્વોત્તમ આતિથ્ય આપવા સતત કાર્યરત છે.

Related posts

Leave a Comment